Morbi Satyagraha In Gujarati મોરબી સત્યાગ્રહ Morbi Satyagrah
મોરબી સત્યાગ્રહ
ફેબ્રુઆરી, 1931માં ફૂલચંદભાઈ અને તેમના સાથીઓને મોરબીમાં 5 દિવસના પિકેટિંગ પછી વિદેશી કાપડના બહિષ્કાર આંદોલનમાં સફળતા મળી હતી. તે સમય દરમિયાન માર્ચ 1931માં ગાંધી–ઈરવિન કરાર થતાં લોકોમાં જુસ્સો મંદ પડયો. તેનો લાભ લઈને વેપારીઓએ ફરીથી વિદેશી કાપડનો વેપાર ચાલુ કરી દીધો. ફૂલચંદભાઈ તેમના સાથીઓ સાથે મોરબી આવ્યા પરંતુ તેઓ કંઈક પ્રવૃત્તિ કરે તે પહેલાં જ રાજ્યની પોલીસે તેમને પકડીને હદ બહાર કરી દીધા.
બીજા દિવસે સૌરાષ્ટ્રના તંત્રી અમૃતલાલ શેઠ પત્રકાર તરીકે મોરબીની મુલાકાતે આવ્યા પરંતુ તેમના પર પણ સરકારે પ્રવેશબંધી ફરમાવી. રાજ્યના દમન અને સત્યાગ્રહીઓના વિરોધમાં વૈદરાજ લક્ષ્મીશંકરે અન્નજળનો ત્યાગ કર્યો. તે દરમિયાન હળવદથી આવેલી સત્યાગ્રહીઓની ટુકડીને પણ હદપાર કરાઈ તેથી રાજ્યે ગાંધીજી પાસે મોકલેલ દૂત પરત આવી જતાં બંને પક્ષે વાટાઘાટોના અંતે સમાધાન કર્યું.
મોરબી રાજ્યે સ્વદેશી પ્રચાર અને વિદેશી વસ્ત્ર બહિષ્કારની રચનાત્મક પ્રવૃત્તિ કરવાની છૂટ આપતાં આંદોલન બંધ કરાયું. આમ મોરબી સત્યાગ્રહના બીજા તબક્કે સત્યાગ્રહીઓને સફળતા મળી.
મોરબી રાજ્ય સાથેના ઉપરોકત સમાધાન બાદ ફૂલચંદભાઈએ ચંપકલાલ વોરા નામના રાજકોટના કાર્યકરને મોરબીમાં સ્વદેશી અને ખાદી પ્રચાર કાર્ય માટે મોકલ્યા. લોકોએ તેમને 'ફૂલચંદભાઈના હનુમાન' તરીકે ઓળખાવ્યા. આ દરમિયાન અમરેલીના અંધકવિ હંસરાજ હરખજી કાનાબાર સ્વદેશીના પ્રચાર માટે મોરબી આવ્યા. જેમણે "પરદેશી ભૂખ્યાં ટોપીવાળા ટોળા ઊતર્યા" જેવા પ્રસિદ્ધ ગીતો ગાયા હતાં.