ગિજુભાઈ બધેકા વિશે નિબંધ | Gijubhai Badheka Information In Gujarati | ગિજુભાઈ બધેકા વિશે માહિતી | જન્મ | મૃત્યુ | જન્મ સ્થળ | Gujarati Nibandh
ગિજુભાઈ બધેકા વિશે
જન્મઃ | 15 નવેમ્બર, 1885 |
---|---|
મૃત્યુઃ | 25 જૂન, 1936 |
જન્મ સ્થળ: | ભાવનગર, ગામઃ વળા |
ગુજરાતના બાળ શિક્ષણ ક્ષેત્રે યુગ પરિવર્તન લાવનારા યુગ પરિવર્તક એટલે ગિજુભાઈ બધેકા.
ગુજરાતના શિક્ષણમાં અધ્યયન પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવનારા સાચા અર્થમાં શિક્ષણપ્રેમી ગિજુભાઈ હતા, જેને શાણા અને શિક્ષણપ્રેમી ગુજરાતીઓ ‘મૂછાળી મા' તરીકે ઓળખે છે. મા જેમ અત્યંત કાળજીથી પોતાના બાળકનું જતન કરે તેમ ગિજુભાઈએ ગુજરાતનાં શિક્ષણ લેતાં બાળકોનું જાનથી પણ વધારે જતન કરી, સંસ્કાર સિંચન કર્યું છે. આમ, બાળ શિક્ષણ ક્ષેત્રે એક આખા યુગ પરિવર્તનનું કાર્ય કર્યું છે.
પિતાનું નામ ભગવાનજી બધેકા અને માતાનું નામ કાશીબા હતું. ગિજુભાઈ બાળપણમાં ગામડાં ગામમાં પ્રકૃતિની ગોદમાં મોટા થયા. ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો આ બાળક સમય જતાં શિક્ષણમાં મોટી ક્રાંતિ લાવનાર બન્યો. અભ્યાસમાં ખૂબ હોંશિયાર ગિજુભાઈને વાંચનનો, નાટક-ગરબાનો ખૂબ શોખ હતો. જે આગળ જતાં બાલમંદિરો અને અધ્યાપન મંદિરોના નાટ્યપ્રયોગના બીજ અહિથી જ રોપાયા હતા.
યુવાવસ્થા અને આદર્શઘેલા યુવાન ગિજુભાઈને વકીલ બનવાની ઇચ્છા પણ ખરી. પરિસ્થિતિને વશ થઈ અભ્યાસ છોડ્યો અને મુંબઈ પેઢીમાં નોકરીએ જોડાયા. આખરે એક દિવસ તેઓ આફ્રિકા પહોંચ્યાં ત્યાં એમનું જીવન સંઘર્ષભર્યું રહ્યું અને તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા.
બત્રીસ વર્ષની ઉંમરે ‘દક્ષિણામૂર્તિથી’ પોતાની શાળા શરૂ કરી અને તેઓ આચાર્ય બન્યાં.
સન 1919-20 શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગોની ભૂમિકા પણ ન હતી એ સમયે વકીલાત છોડી શિક્ષણમાં આવી પહોંચ્યાં. ગિજુભાઈ પાસે ન હતી શિક્ષણશાસ્ત્રની ડિગ્રી કે નહોતા વિદેશી પ્રમાણપત્રો કે નહતો શૈક્ષણિક અનુભવ. એમની પાસે માત્ર પ્રયોગકારની વૈજ્ઞાનિક દૃષ્ટિ, નવું કરી બતાવવાની તમન્ના, શ્રદ્ધા અને સૂઝ. વિનય મંદિરના વિદ્યાર્થીઓ સમક્ષ અવનવા પ્રયોગો કરી, ‘પ્રત્યક્ષ પદ્ધતિ'નો પ્રયોગ દાખલ થયો અને સામયિક શરૂ કર્યું. તેમણે બાળવાર્તાઓ અંગ્રેજીમાં લખી.
સંવત 1978 વૈશાખ સુદ-8ના રોજ પૂ. કસ્તૂરબા ગાંધીના હસ્તે બાલમંદિર ખુલ્લું મૂકવામાં આવેલું. ગિજુભાઈએ બાલમંદિર માટેના અભ્યાસક્રમ ઘડ્યા. અવનવા પ્રયોગો એમાં કર્યાં. મોન્ટેસરી પદ્ધતિ તથા મિશ્ર પદ્ધતિ અને સિદ્ધાંતો પ્રેરિત પ્રયોગો કર્યા. ગિજુભાઈએ શુદ્ધ વૈજ્ઞાનિક રીતે બાળ શિક્ષણમાં પ્રયોગો કર્યા. લોકરમત, વાર્તાકથન વગેરેના પ્રયોગ પણ કર્યા.
આમ, ગિજુભાઈના અધ્યાપન મંદિરનું શિક્ષણ જીવનશિક્ષણ હતું. શિક્ષણ પદ્ધતિ જીવન પદ્ધતિ હતી, જેમાં સંગીત, ચિત્રકલાને પણ અગત્યનું સ્થાન હતું. આ રીતે આ પ્રવૃત્તિ દિન-પ્રતિદિન પાંગરતી ચાલી અને બાળશિક્ષણની નવીન દૃષ્ટિનો સમાજને ખ્યાલ આપ્યો.
સમય જતાં બાળસાહિત્ય સર્જનની યોજના ઘડી. દક્ષિણામૂર્તિ, ત્રૈમાસિક, શિક્ષણ પત્રિકા, બાલ સાહિત્યમાળા તથા શિક્ષણ સાહિત્યના પુસ્તકો માટે પ્રકાશન મંદિર ખોલવાનો વિચાર કર્યો. ચાલણગાડીથી શ્રી ગણેશ થયાં. શિક્ષણ પત્રિકા'ના અંકો શાળા અને ઘર સુધી પહોંચી ગયા.
રાષ્ટ્રનો મુક્તિ સંગ્રામ શરૂ થયો ત્યારે ગીજુભાઈએ એક શિક્ષક તરીકે પોતાનો ફાળો આપ્યો. તેમને અક્ષરજ્ઞાન પ્રચારની યોજના સૂઝી. સત્યાગ્રહ જંગને સફળ બનાવવાની ચાવી લોકશિક્ષણમાં રહેલી છે એવું તેઓ માનતા. આ સમય દરમિયાન દક્ષિણામૂર્તિના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જેલવાસ પણ ભોગવ્યો.
સ્વરાજ પ્રાપ્તિ પછી પ્રૌઢ શિક્ષણના કામને વેગ મળ્યો. ‘ચાલો વાંચીએ', ‘આગળ વાંચો’ જેવી લોકપોથી અને પ્રૌઢ વાચનમાળાઓનું સર્જન થયું. તેમણે બાળ સાહિત્યના તેમજ બાળ કેળવણીના ૧૫૦ જેટલા પુસ્તકો લખ્યાં છે. 1929માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. આજે ગુજરાતના કેળવણીકારોમાં તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે.