Type Here to Get Search Results !

ભારતના રૂપિયાને અસર કરતા પરિબળો | Factors Affecting Indian Rupee

ભારતના રૂપિયાને અસર કરતા પરિબળો | Factors Affecting Indian Rupee : યુ.એસ. ડોલરને જે પ્રકારના પરિબળો અસર કરે છે એવા જ પરિબળો ભારતીય રૂપિયાને અસર કરે છે આ અંગે નીચે વિસ્તૃત ચર્ચા રજૂ છે.
ભારતના રૂપિયાને અસર કરતા પરિબળો | Factors Affecting Indian Rupee

કેપીટલ મુવમેન્ટ (Capital Movement) 

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) અને ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ (FII) ના સ્વરૂપે આવતાં વિદેશી મૂડી રોકાણો આજના યુગમાં ચલણના વિનીમય દરને અસર કરતી અગત્યની બાબત બની જવા પામી છે. ભારત જેવા દેશ જે વિદેશથી મૂડી રોકાણનો પ્રવાહ આકર્ષે છે તે ચલણને ઉચકે છે અને તેની માંગ વધારે છે. બીજી બાજુ મૂડીનો દેશ બહારનો પ્રવાહ ચલણને ઘસારો આપે છે.

સ્ટોક એક્સચેન્જ ઓપરેશન (Stock Exchange Operations) 

સ્ટોક એક્સચેન્જની પ્રવૃત્તિઓ જેવી કે વિદેશી જામીનગીરી, શેર, ડિબેન્ચર સ્ટોક વિ. જે તે ચલણની માંગ અને પુરવઠાને તથા તેના વિનીમય દરને પ્રભાવિત કરે છે. જયારે FII શેરબજારમાં ખરીદ કરે છે, તેનો અર્થ એ છે કે બહારથી મુડી રોકાણ આવી રહ્યું છે ત્યારે પરિણામે સ્થાનિક ચલણને ઉછાળ મળે છે. તે જ રીતે જ્યારે FII પોતાના રોકાણ વેચે છે ત્યારે મૂડી પરત લઇ જાય છે એટલે પ્રવાહ બહાર જાય છે અને એટલે સ્થાનિક ચલણ ગગડે છે.

આંતરરાષ્ટ્રીય વેપાર (International Trade) 

બે રાષ્ટ્રો વચ્ચે માલ સામાન અને સેવાઓનો વેપાર એ ફોરેન કરન્સીની માંગ અને પુરવઠો નક્કી કરતું મુખ્ય કારણ છે, કોઇ દેશનાં ચલણની મજબૂતાઇ કે ઢીલાશનો આધાર તે જે દેશ સાથે આવો વેપાર કરે છે. જો દેશની આયાત વધુ હોય ત્યારે એ દેશમાં જે તે વિદેશી ચલણની માંગ વધે છે. એટલે કે સ્થાનિક ચલણની કિંમત તૂટે છે. વિકાસશીલ કે અલ્પવિકસીત દેશો માટે આ ખાસ સ્થિતિ છે કારણ કે તેઓ વિકાસ માટે આયાત ઉપર ઘણાં અંશે આધારીત હોય છે. કરન્ટ અકાઉન્ટ બેલેન્સ (ડેફીસીટ કે સરપ્લસ) એ રાષ્ટ્રના ચલણની મજબૂતાઈ કે નરમાઇ પર અસર કરશે. હાલમાં ભારતને લગભગ ૮૬. ૬ બિલીયન અમેરીકન ડોલર જેટલી ટ્રેડ ડેફીસડ છે. (એપ્રિલ - ૨૦૦૯ જાન્યુઆરી ૨૦૧૦) માં આ ટ્રેડ ડેફીસીટ વધશે તો રૂપિયો ધસાશે. જો ડિફીસીટ ઘટશે તો રૂપિયો મજબૂત થશે.

RBI હસ્તક્ષેપ (RBI Innervation)

ભારતીય રૂપિયાના મૂલ્યાંકનનો આધારનો મોટો આધાર RBI છે કેમ કે તે ભારતની કેન્દ્રીય બેંક છે. RBI ભારતની નાણાંનીતિને જવાબદારી વહન કરે છે અને તે અને આ નિતી વ્યાજદરો અને તરલતાની બાબતમાં અર્થવ્યવસ્થામાં સિંહફાળો ધરાવે છે. પરોક્ષ રીતે તેને કારણે સ્ટોક માર્કેટ તથા વિનીમયદરને અસર કરે છે. RBI વ્યાજદરોનું પ્રત્યક્ષ નિયંત્રણ નથી કરતી, પરંતુ સામાન્ય રીતે જો કડક નાણાંનીતિને (CRR અને Repo/Reverse Repo rate વધારીને) અપનાવે તો વ્યાજ દર વધે છે (કેમ કે બેંકો જુદી જુદી લોનના વ્યાજદર વધારશે.) જો કડક નાણાંનિતીને કારણે ભારતમાં વ્યાજદર વધે છે. તો ભારતમાં વ્યાજ આપતી મિલક્તો (ડિપોઝીટ, રોકાણ) ની માંગ વધવાથી ભારતીય રૂપિયો ઉંચકાશે. જો વ્યાજદરો વધવાની જાહેરાત પહેલાં આવી પૂર્વધારણા હોય તો તુંરત રૂપિયો ઉંચકાઇ જશે અને વ્યાજદર વધારો જાહેર થતાં સાથે જ ફરી ગગડી જશે. બજારને વ્યાજદરોની ભાવિ ચાલ જાણવામાં રસ હોય છે. વર્તમાન દરો કરતાં, સામાન્ય રીતે વ્યાજદરોની જાહેરાત બાદ RBIનાં ગર્વનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ રખાય છે. ગવર્નરના સંબોધનથી પણ મોટી અસર કરન્સી માર્કેટ પર હોય છે, કેમ કે તેનાં ભાષણ માંથી બજા ૨ વ્યાજદરોની ભાવિ દિશા વિશે અનુમાન લગાવે છે. ધારણાં કરતાં વધુ વ્યાજદરની જાહેરાત રૂપિયા માટે પોઝીટીવ કે આશાસ્પદ થાય અને ધારણાંથી ઓછી વ્યાજદરની જાહેરાત રૂપિયા માટે નેગેટીવ કે નિરાશાજનક ચિન્હ થાય.

ફુગાવો (Inflation) 

સ્થાનિક ફુગાવો કે સંકોચન વિનીમય દરને અસર કરે છે કારણ કે તે વિદેશી બજારમાં રૂપિયાની માંગ અને પુરવઠાને અસર કરે છે. ફુગાવાનો વધારો, વ્યાજદરોનું સૂચન કરતો હોવાથી, ચલણ માટે પોઝીટીવ ગણાય છે. ધારણાં કરતાં ઊંચો આંક ડોલર માટે પોઝીટીવ અને આશાસ્પદ છે અને ધારણાં કરતાં નીચો આંક ડોલર માટે નેગેટીવ કે નિરાશાજનક ચિન્ડ ગણાય છે કારણ. વ્યાજદરો વધતાં બહારથી રોકાણ આવે છે.

ગ્લોબલ કરન્સી ટ્રેડ (Global Currency Trends) 

અન્ય દેશોના ચલણની માફક ભારતનો રૂપિયો પણ મોટા અર્થતંત્રવાળા દેશો સામે જોડાયેલ છે કેમ કે અમેરિકા, બ્રિટન, કેનેડા, જાપાન, આવા દેશોનાં બજારમાં ચલણમાં ઉછાળો કે ઘટાડો ભારતીય રૂપિયાની કિંમતને પણ અસર કરશે.

ઓઇલ ફેક્ટર (Oil Factors) 

ભારત ખનીજતેલ અને તેની પેદાશનો આયાત કરતો મોટો દેશ છે. કુડના ભાવમાં વધારો, પેમેન્ટનું ભારણ વધારશે, આના કારણે ભારતનાં બેલેન્સ ઓફ ટ્રેડને મોટી અસર થાશે અને ટ્રેડ ડેફિસીટ વધવા લાગશે. ભારતના અર્થતંત્ર ઉપર આની વિપરીત અસર થાય છે અને પરિણામે ભારતીય રૂપિયાની કિંમતમાં ઘટાડો થાશે અને ફુગાવો વધશે.

રાજકીય અસર (Political Factors) 

દેશની રાજકીય સ્થિતિ દેશની મજબૂતાઇ નક્કી કરે છે. કેન્દ્રમાં સ્થિર અને કાર્યદક્ષ સરકાર રચનાત્મક વિકાસનું સર્જન કરે છે. જેનાથી રોકાણકારોમાં વિશ્વાસ જન્મે છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં દેશની છબી ઉછાળે છે. એક સુંદર શાખ અને ઉજ્જવળ છબી વાળુ અર્થતંત્ર ચોક્કસ પોતાના ચલણને મજબૂત કરે છે. આજ કારણે પાર્લામેન્ટની ચુંટણી વખતે આગામી સરકાર તથા તેની નિતીઓ બાબતે અનુમાનો અને સટ્ટાખોરી વધી જાય છે. સરકારના વિવિધ પગલાં અને નિતીઓથી પણ ચલણમાં તેજી મંદી જોવા મળે છે. દા.ત. ૧૯૯૮માં ભારતે અણુ ધડાકો કરતા અમેરિકાએ ભારત ઉપર મુકેલ આર્થિક નિયંત્રણોને કારણે ડોલર સામે રૂપિયો ગગડી ગયો હતો.

વિદેશની આવકો (Remittances from Abroad) 

ભારતીય નાગરીકો જે વિદેશમાં સ્થાયી થયા છે તે પણ ભારત માટે મૂડી રોકાણનો મોટો સ્તોત્ર છે. ઘણા NRI મોટી રકમનું રોકાણ ભારતીય બેંકોમાં કરતા હોય છે કારણ કે બેંકો તેમને આકર્ષક વ્યાજ દર આપતી હોય છે. ભારતમાં ફોરેન એક્સચેન્જની આવકનો બીજો મોટો સ્તોત્ર વિદેશ ટૂંક સમય માટે કમાવા ગયેલા લોકો મોકલતા નાણાં છે. આ રકમ દર વરસે વધતી જ જાય છે. ભારતમાં ફોરેન એક્સચેન્જના પ્રવાહથી ભારતનાં રૂપિયાની કિંમત વધે છે. ઉપર મુજબની ચર્ચાથી સમજી શકાશે કે ચલણની કિંમત માત્ર તેની માંગ અને પુરવઠા પુરતી મર્યાદિત નથી પણ અનેક પરિબળોનાં પ્રભાવની મિશ્ર અસરો પર નિર્ભર છે. કોઇ પણ દેશ માટે પોતાનાં ચલણને મજબૂત ટકાવી રાખવું અઘરું છે. ફુગાવો, નિકાસ, પ્રોત્સાહન, વિદેશી રોકાણને પ્રોત્સાહન જેવી પરસ્પર પ્રતિકૂળ સ્થિતિને સંભાળવાની નિતીઓની વચ્ચે આવું કરવું ઘણું અઘરું છે. અને આવા સમયે ચલણને ઘસાતો કે ગગડી જતો રોકવો દરેક સમયે મુશ્કેલ હોય છે.