Type Here to Get Search Results !

ગુજરાતના પ્રાચીન ગૃહઉદ્યોગો, પટોળાં, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, ભરતકામ, રંગાટીકામ,ધાતુકામ

પ્રાચીનકાળથી પટોળાં, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, વિવિઘ પ્રકારનું ભરતકામ, રંગાટીકામ,ધાતુકામ, લાકડાનું કોતરકામ વગેરે માટે ગુજરાત જાણીતું છે. 


(1) પટોળાં: 

પટોળાં માટે પાટણ પ્રખ્યાત છે. કુમારપાળના. સમયમાં પાટણમાં પટોળાં વણનારાં 700 કારીગરો હતાં. હાલમાં કસ્તૂરચંદ અને બીજું એક કુટુંબ પટોળાં બનાવે છે.

ઝીણા તાણા- વાણાને પ્રથમ બાંધી પછી તેને વિવિધ રંગોમાં રંગીન ભાત પ્રમાણે ગોઠવવામાં આવે છે. શુદ્ધ રેશમની ચટાઈ ડિઝાઈનમાં ભૌમિતિક આફતિઓ, નારીકુંજર, પાનભાત, ફૂલવાડી, ચોકડીભાત અને પશુ-  પક્ષીઓની આકૃતિઓ વણાટ સાથે ઊપસતી આવે છે. 


(2) મશરૂઃ 

આ કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો તાણો અને સૂતરનો વાણો હોય છે. પાટણમાં ખત્રી અને શેખ મુસ્લિમ કારીગરો તેમજ ઊંઝામાં પટેલ કારીગરો મશરૂ તૈયાર કરે છે. 

પાટણમાં મશરૂના કારીગરોની સહકારી મંડળી છે. આ કાપડમાં સોનેરી, લાલ, લીલો અને પીળો રંગ વપરાય છે. કટારિયો, ચુંદડી, લાલ અને લીલી કંક્ણી, કમખી, સોદાગરી, અરબી વગેરે લોકપ્રિય ડિઝાઇનો છે. 


(3)કિનખાબ: 

અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસનગર, મગરોડા, ઊંઝા, ઉપેરા અને ગોઝારિયા કિનખાબનાં ઉત્પાદનકેન્દ્રો છે. હાલ ઉપેરા, રિદ્રોલ અને નારદીપુરનું કિનખાબ વણાય છે. આ કાપડ રાજવી કુટુંબો અને મેમણ કોમ વધુ વાપરે છે. 


(4) સુજનીઃ 

આ એક પ્રકારની રજાઈ છે અને એમાં એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે. તેનો ઉદ્યોગ ભરૂચમાં છે. 


(5) તણછાંઈઃ 

તણછાંઈનું કાપડ સુરતની વિશિષ્ટતા છે. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની ભાત છાપવામાં આવે છે. 


(6 ) અકીકની વસ્તુઓ : 

અકીકના પથ્થર રતનપુર (જિ. ભરૂચ) પાસેની બાવા ઘોરની ખાણમાંથી મળે છે. મોરબી, રાણપુર અને માઝુમ નદીના પટમાંથી હલકી જાતના પથ્થરો મળે છે. 

અકીકનો ઉદ્યોગ પ્રાચીનકાળથી વલભી અને ખંભાતમાં પ્રચલિત છે. છરી અને ખંજરનો હાથો, તલવારની મૂઠ, વીંટી, રકાબી-પ્યાલા, કલમ, ખડિયો, પેપર-વેઇટ વગેરે વસ્તુઓ અકીકના પથ્થરમાંથી બને છે. 

આફ્રિકા, યુરોપ અને મધ્ય એશિયાના દેશોમાં તેની નિકાસ થાય છે. 


(7 ) જરીક્સબઃ 

જરીક્સબના ઉદ્યોગ માટે સુરત, અમદાવાદ, જામનગર અને ધોરાજી જાણીતાં છે. આ ઉદ્યોગના કાચા માલમાં રેશમી દોરા, ચાંદી અને સોનું મુખ્ય છે. 

કિનખાબ અને મખમલ પર સોનેરી અને રૂપેરી તારથી ભરતકામ થાય છે. દક્ષિણનાં રાજ્યોમાં હાથસાળ કાપડમાં ગૂંથવા માટે ગુજરાતમાંથી સોનારૂપાનો કસબ ખરીદાય છે. 


(8) ભરતકામ: 

કચ્છ અને સૌરાષ્ટ્રની મોચી, જત, મતવા, લોહાણા, આહીર, મેર, કાઠી, રબારી, કણબી, સથવારા, ઓસવાળ વણિક અને સિંઘી બહેનો ભરતકામ કરે છે. ગુજરાતમાં નીચે પ્રમાણે ભરતકામ થાય છેઃ 

આહીર ભરતઃ પીળા પોત પર પોપટ, બુલબુલ, પૂતળીઓ વગેરેની આકૃતિઓ ઉપસાવાય છે. આભલાનો પણ ઉપયોગ થાય છે. ચાકળા, તોરણ, પડદા, ટોડલિયાં, કાપડું અને ચોળી પર આ ભરત ભરાય છે. જૂનાગઢ જિલ્લો અને ગીરસોમનાથ આ ભરત માટે જાણીતો છે. 

કણબી ભરત: ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં કણબી મહિંલાઓ ઘાઘરા, ચોળી, ચંદરવા, બારસાખિયાં, થેલી, બળદની ઝૂલ , ઓશીકાના ગલેફ વગેરે પર આ ભરત ભરે છે. લાલ અથવા ભૂરા રંગના જાડા કાપડ પર આ ભરતકામ થાય છે. 

ચણિયાના ભરતકામમાં આભલાનો ઉપયોગ થાય છે. મહાજન ભરતઃ વાગડ અને ભુજ-માંડવીના ઓસવાળ વણિકો, સોની વગેરે ભૌમિતિક ડિઝાઇનો, હીરાચોકડી ભાતનો આ ભરતમાં ઉપયોગ કરે છે. ગલેફ, ટોડલિયાં, ચાકળા અને ર્ભીંતિયાં પર તેઓ ભરત ભરે છે. 

શોતી ભરતઃ મોતીનાં તોરણ, ઈંઢોણી, નારિયેળ, પંખા, ચોપાટ, ઢીંગલી, ચાકળા, ચંદરવા વગેરે ભરવાનું કામ અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળાં ગામોમાં થાય છે. સૌરાષ્ટ્રમાં નવરાશના સમયમાં મહિલાઓ ભૂંગળી અને મોતીવાળું તોરણ બનાવે છે. 


(9) રંગાટીકામઃ 

જામનગર, જેતપુર, ગોંડલ, રાજકોટ, ભાવનગર, અમરેલી, શિહોર, વડોદરા, બગસરા, ભુજ, માંડવી, અંજાર, સુરત, નવસારી, ગણદેવી, વલસાડ, બારડોલી, ચીખલી વગેરે શહેરો રંગાટીકામ માટે જાણીતાં છે. 

કચ્છમાં ચુંદડી, સાફા, શીરક, રૂમાલ, ઉપરણાં, ચાદરો વગેરેનું રંગાટીકામ થાય છે. જામનગરની બાંઘણી વખણાય છે. જેતપુરમાં સાડી પર રંગાટીકામ થાય છે. 

રંગાટીકામ માટે મિલનું વાયલ, મલમલ, લોન, કેમ્બ્રિક તથા પાવરલૂમ અને હૅન્ડલૂમનું કાપડ વપરાય છે.


(10) લાકડાનું કોતરકામ: 

સંખેડા, ધોરાજી અને જૂનાગઢમાં ક્લાઈ તથા લાખ મિશ્રિત રંગવાળાં લાકડાનાં બાજોઠ, ઝૂલા, ઢોલિયા, ઘોડિયાં, સોફાસેટ, વેલણ વગેરે બનાવવામાં આવે છે. 

ભાવનગર જિલ્લાના મહુવામાં હાથીદાંત અને લાકડાનાં વિવિધ ફળો, રમકડાં, નાની પેટીઓ વગેરે બનાવવામાં આવે છે. 

ભાવનગરમાં મોટા પટારા બને છે. ગોધરા, ઈડર, અમદાવાદ, સુરત, લુણાવાડા, પાલનપુર, બાલાસિનોર, મોડાસા, સંતરામપુર, સંખેડા, પાટણ, મહુવા, જૂનાગઢ, અને ભાવનગર આ ગૃહઉદ્યોગનાં કેન્દ્રો છે. 


(11) ધાતુકામઃ 

ધાતુકામ માટે શિહોર, વઢવાણ, ધ્રાંગદ્રા, જામનગર, વિસનગર, નડિયાદ, વડોદરા, ડભોઈ, નવસારી વગેરે શહેરો જાણીતાં છે. જામનગર, અંજાર, માંડવી, ભુજ, રોહા, કોઠારા વગેરે શહેરો સૂડી, ચપ્પુ, તાળાં વગેરે બનાવવા માટે જાણીતાં છે. 

વડનગર, ઉમરેઠ અને પીજમાં ચપ્પુ બને છે. રાજકોટ અને ભુજ સોનાચાંદીનાં કલાત્મક આભૂષણો માટે જાણીતાં છે. રાખદાની, પાનદાની, ફૂલદાની, અત્તરદાની કચ્છમાં બને છે. રાજકોટમાં મીનાકામવાળાં, હીરામોતી જડેલાં આભૂષણો બને છે. 


(12) માટીકામ: 

કુંભારો સદીઓથી નળિયાં, ઈંટો, માટલાં, કુલડી, કોડિયાં વગેરે બનાવતા આવ્યા છે. આદિવાસીઓ સપાટ નળિયાં, ઘોડાં, ખતરીદેવની મૂર્તિ વગેરે બનાવે છે. થાનમાં માટીનાં રમકડાં બને છે. 

પાટણમાં ઓતિયા કુંભારો વિવિધ પ્રકારના રમકડાં બનાવે છે. થાન, શિહોર, વાંકાનેર, મોરબી, બીલીમોરા વગેરેમાં ચિનાઈ માટીના પ્યાલા, રકાબી, બરણી, ગ્લેઝવાળા વાટકા, સેનેટરીવેર વગેરે બને છે.